નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ મથુરા વેટરનિટી યૂનિવર્સિટીમાં એક મોટા કાર્યક્રમની શરૂઆત કરી. આઝાદી બાદ પ્રથમ વખત આટલા મોટા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જુદી જુદી બીમારીઓથી બચવા માટે પશુઓના રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. તેની સાથે જ પીએમ મોદીએ સ્વચ્છતા અને સેવા અભિયાન પણ શરૂ કર્યું. સ્વચ્છતા માટે સરકારની યોજના છે કે 2 ઓક્ટોબર સુધી સિંગલ યૂઝ પ્રાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવાનો છે.


પીએમ મોદીએ આ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, 'ૐ' કે ગાય શબ્દ સાંભળતાં જ કેટલાક લોકોના કાન ઊભા થઈ જાય છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઊભા થઈ જાય છે, તેમને કરંટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી-17મી સદીમાં જતો રહ્યો છે. એવા લોકોએ જ દેશને બરબાદ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે અમે 13 હજાર કરોડના અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ. આ અભિયાન છે FMD એટલે કે ફૂડ એન્ડ માઉથ ડિસીઝનો સામનો કરવો. દુનિયાના અનેક ગરીબ નાના દેશ પણ પશુઓને મુશ્કેલીમાંથી બહાર લાવી ચૂક્યા છે, પરંતુ આપણો દેશ હજુ પણ તેનો સામનો કરી રહ્યો છે. આ અભિયાનમાં દેશની ગાય, ભેંસ, બકરી, સૂવરોને વર્ષમાં બે વાર રસી મૂકવામાં આવશે.

પોતાના સંબોધનની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવા જનાદેશ બાદ કનૈયાની નગરીમાં પહેલીવાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પીએમે કહ્યું કે, આપ સૌના આદેશ અનુસાર છેલ્લા 100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે આપનું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતું રહેશે.