ચંદીગઢ: પંજાબના લુધિયાણામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસથી એક 52 વર્ષના પોલીસ અધિકારીનું મોત થયું છે. સિવિલ સર્જન રાજેશ બગ્ગાએ જણાવ્યું કે એસીપી અનિલ કોહલીએ એસપીએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંજાબ સરકારે શુક્રવારે હોસ્પિટલને પોલીસ અધિકારીની સારવાર પ્લાઝ્મા થેરાપીથી કરવાની મંજૂરી આપી હતી.


પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આટલી રકમ કોઈપણ અધિકારીના પરિવારને આપવામાં આવશે જેમનું આ સમયે કર્તવ્ય નિર્વહન દરમિયાન મોત થશે.

લુધિયાણાના જિલ્લા જનસંપર્ક કાર્યાલયે ટ્વિટ કર્યું, દુખદ સમાચાર, એસપી અનિલ કોહલીનું નિધન થયું છે. તેઓ લુધિયાણાના એસપીએસ હોસ્પિટલમાં દાખલ હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.



મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કહ્યું, 'એ જણાવતા ખૂબ દુખ થાય છે કે કોરોના વાયરસના સંકમણના કારણે આપણે ગુરમૈલ સિંહ કાનૂનગો અને આજે અનિલ કોહલીને ગુમાવ્યા છે. આ સંકટ સમયમા કોરોના વાયરસ સંક્રમણના કારણે આપણા યોદ્ધાને ગુમાવવા રાજ્ય માટે ખૂબ મોટું નુકશાન છે. દુખના આ સમયમાં હું તેમના પરિવાર સાથે છું.'

એસપી અનિલ કોહલીને 12 એપ્રિલના કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. શુક્રવારે તેમના પત્ની સુરક્ષા ગાર્ડ અને એક સ્ટેશન પ્રભારીના પણ સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે.