પંચતત્વમાં વિલીન થયા ભારત રત્ન પ્રણબ મુખર્જી, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Sep 2020 04:53 PM (IST)
રાજકીય સન્માન સાથે તેમને દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.
નવી દિલ્હી: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણબ મુખર્જી આજે પંચતત્વમાં વિલીન થયા છે. રાજકીય સન્માન સાથે તેમને દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ પહેલા સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા મોટા નેતાઓએ તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજકારણના અજાતશત્રુ પ્રણબ મુખર્જીનું નિધન સોમવારે થયું હતું. તેઓ 84 વર્ષના હતા. તેમને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજ દિવસે તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. બાદમાં પ્રણબ મુખર્જીના ફેફસામાં સંક્રમણ પણ થયું હતું. પ્રણબ મુખર્જીના નિધન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. પ્રણબ દાને અંતિમ વિદાય આપવા દરમિયાન તેમના દિકરા અભિજીત મુખર્જી અને દિકરી શર્મિષ્ઠા મુખર્જી હાજર રહ્યા હતા. સ્મશાન ગૃહમાં પોતાના પ્રિય નેતાની અંતિમ વિદાય દરમિયાન લોકોએ પ્રણબ દા અમર રહે ના નારા પણ લગાવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર પહેલા તેમના દિકરા અભિજીતે તમામ પ્રક્રિયાઓ પૂરી કરી હતી.