મથુરાઃ નરેન્દ્ર મોદી સાથે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનમાં હાજર  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 82 વર્ષના નૃત્ય ગોપાલદાસ બુધવારે જન્માષ્ટમી મનાવવા મથુરા ગયા હતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી કોરોનાનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.


ગુરુવારે સવારે મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત અચાનક બગડી હતી. શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ હતી અને તાવ પણ આવ્યો હતો.  તરત જ આરોગ્ય વિભાગની ટીમે  તેમની તપાસ કરી હતી અને તેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.  દવા આપ્યા પછી તેમને તાવ ઉતરી ગયો છે અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે એટસે ઓક્સિજન સિલિન્ડર પણ મંગાવી લેવામાં આવ્યો છે.



મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર મહંત સાથે વાત કરીને તેમની તબિયત પૂછી હતી. યોગીએ ડોક્ટર નરેશ ત્રેહન સાથે વાત કરીને તેમને મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું હતું. અમિત શાહ પણ આ હોસ્પિટલમા જ દાખલ થયા છે.

મહંત નૃત્યગોપાલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પણ છે. જન્માષ્ટમીના દિવસે બુધવારે રાતે તેઓ શ્રીકૃષ્ણના જન્મસ્થાન પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેઓ દરેક વખતે આ કાર્યક્રમમાં સામેલ થાય છે પરંતુ આ વખતે તેઓ અયોધ્યાથી પવિત્ર સરયૂ નદીનું જળ પણ બાળ ગોપાળનો અભિષેક કરવા માટે લઈને ગયા હતા. કૃષ્ણ જન્મસ્થાનમાં ભગવાન કૃષ્ણના અભિષેકના સમયે પણ મહંત બેઠા હતા. તેમના શિષ્યોએ જ અભિષેકની પરંપરા નિભાવી હતી.