નવી દિલ્હીઃ આજથી ઈમાનદારીથી ટેક્સ ચુકવનારા લોકો માટે 21મી સદીની ટેક્સ સિસ્ટમની નવી વ્યવસ્થાની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સપેરેંટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ નામના એક મંચનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, આ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સપેયર્સ ચાર્ટર આજથી જ લાગુ થઈ ગયા છે. જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બરથી દીન દયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.


પીએ મોદીએ કહ્યું, દેશના ઈમાનદાર કરદાતા રાષ્ટ્રનિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે.  જ્યારે દેશના ઈમાનદાર કરદાતાનું જીવન આસાન બને છે ત્યારે આગળ વધે છે અને તેનાથી દેશનો પણ વિકાસ થાય છે. હાલ દેશમાં કર્તવ્યભાવને સર્વોચ્ચ રાખીને તમામ કામ કરવામાં આવે તેવો માહોલ બની રહ્યો છે.



પ્રધાનમંત્રીએ કહ્યું, એક સમયે આપણા દેશમાં રિફોર્મ્સની ખૂબ વાતો થતી હતી. કેટલીક મજબૂરી અને દબાણમાં ફેંસલા લેવામાં આવતા હતા, જેને તેઓ રિફોર્મ્સ કહેતા હતા. આ કારણે ઈચ્છિત પરિણામ નહોતા મળતા. હવે આ વિચાર અને અભિગમ બંને બદલાઈ ગયા છે.



પીએમ મોદીએ કહ્યું, ભારતના ટેક્સ સિસ્ટમમાં મૌલિક અને સંરચનાત્મક સુધારાની જરૂર હતી. કારણકે આપણા આજની સિસ્ટમ ગુલામી કાળખંડમાં બનેલી અને વિકસિત થઈ છે. આઝાદી બાદ તેમાં થોડો બદલાવ થો છે પરંતુ મોટાભાગની સિસ્ટમનું સ્વરૂપ બદલાયું નથી.