પુડ્ડુચેરીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડચેરીમાં એક સાથે 20 બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ હડકંપ મચી ગયો છે. આ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુડ્ડુચેરીના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યણ વિભાગના નિર્દેશક એસ. મોહનકુમારે બાળકો કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ કરી છે. બાળકોને સારવાર માટે કાથિરકમન સ્થિત ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.


બાળકો સંક્રમિત મળ્યા બાદ અને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી પુડ્ડુચેરીના શિક્ષણ મંત્રીએ કહ્યું કે, સરકારે પહેલા સ્કૂલ અને કોલેજો શરૂ કરવાનો ફેંસલી લીધો હતો. પરંતુ હવે કોવિડ-19 સ્થિતિના કારણે સ્થગિત કરવાનો ફેંસલો લીધો છે. પુડ્ડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 103 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,19,405 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆક 1,773 છે. રાજ્યમાં 6.20 લાખ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.


ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશની તુલનામાં હાલમાં ઘણો ઓછો છે. જોકે સંકટ હજુ પણ ટળ્યું નથી. દરરોજ અંદાજે 40 હજારથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તફતી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.


કોરોનાના કુલ કેસ


હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.


39 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 14 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 34 લાખ 97 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 43 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.43 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.