જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ સહિત પાંચ આતંકીને ઠાર મારવામાં આવ્યા છે. આ દરમિયાન સેનાના એક જવાન પણ શહીદ થયા છે. 


અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના રાજપુરાના હાજિન ગામમાં તપાસ અભિયાન શરુ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરતા અથડામણ થઈ હતી. સુરક્ષાદળોએ ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો હતો.


અધિકારીએ જણાવ્યું કે શરુઆતના ગોળીબારમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાસ્થળે વધારે જવાનો મોકલવામાં આવ્યા છે અને અથડામણમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓને સંબંધ લશ્કર-એ-તૈયબા સાથે છે અને એક મૂળ પાકિસ્તાનનો છે.


પોલીસના મુજબ, માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પુલવામાના દાનિશ મંજૂર, પાકિસ્તાનના રેહાન, ત્રાલના નિશાન હુસૈન લોન ઉર્ફ ખિતાબ અને હાજન પાયીનના આમિર વાગ્યા તરીકે થઈ છે. એકની ઓળખ નથી થઈ.