ચંદીગઢ: પંજાબમાં ખેડૂતોએ કૃષિ બિલ વિરુદ્ધ આજથી ત્રણ દિવસ ‘રેલ રોકો’ આંદોલન શરુ કરી દીધું છે. જેના પગલે રેલવેએ અનેક ટ્રેનોનું સંચાલન રોકી દીધું છે. ‘રેલ રોકો’ આંદોલનનું આહવાન કિસાન મજૂર સંઘર્ષ સમિતિએ કર્યું અને બાદમાં અલગ અલગ ખેડૂત સંગઠોનોએ પણ તેને સમર્થન આપ્યું છે.


રેલ અધિકારીઓએ જણાવ્યું કે, 14 જોડી વિશેષ ટ્રેન 24 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિને કોઈ પણ પ્રકારના નુકસાનીથી બચાવવાને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. અનેક માલગાડી અને પાર્સલ ટ્રેનોનો પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમા કોરોના મહામારીના કારણે નિયમિત પેસેન્જર ટ્રેનો પહેલાથી રદ્દ છે.

ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓએ બરનાલા અને સંગરુરમાં ગુરુવારે સવારે રેલવેના પાટા પર બેસીને પ્રદર્શન કર્યું. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોએ અમૃતસરના દેવીદાસપુર અને ફિરોજપુરના બસ્તી ટાંકાવાલામાં રેલવે પાટા પર બેસવાનો નિર્ણય લીધો છે.

કાર્યકર્તાઓએ ભાજપ નેતાઓ અને તે લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો છે. જેમણે આ બિલોના સમર્થનમાં મતદાન કર્યું. કુલ 31 ખેડૂત સંગઠનોએ કૃષિ બિલો વિરુદ્ધ 25 સપ્ટેમ્બરે પંજાબમાં સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે.

ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે, આ બિલોથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ખતમ કરવાનો રસ્તો સાફ થઈ જશે અને તે મોટા પૂંજીપતિઓની દયા પર નિર્ભર થઈ જશે.

સસંદમાં કૃષિ સાથે સંબંધિત બિલ કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020, આવશ્યક વસ્તુ(સંશોધન) બિલ -2020 પાસ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદો બની જશે.