પંજાબ: સંગરુરમાં શનિવારે બપોરે એક દુખદ અકસ્માત થતાં ચાર નિર્દોષ બાળકોના મોત થાય છે. એક સ્કૂલ વાનમાં આગ લાગતા ચાર બાળકો જીવતા ભડથું થઈ ગયા છે. એક ખાનગી સ્કૂલના બાળકોને લઈને ઘરે પરત ફરી રહેલી મિની વેનમાં આગ લાગી હતી. બાળકો 10 થી 12 વર્ષના હતા, વાનમાં 12 બાળકો સવાર હતા. આગ લાગ્યા બાદ કેટલાક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યા મુજબ, આ ઘટના લોંગોવાલ-સિદસામચાર રોડ પર બની બતી. ઘટના સમયે વાનમાં 12 જેટલા બાળકો હતા. જ્યારે ગાડીમાં આગ લાગી ત્યારે આસપાસ ખેતરોમાં કામ કરતા લોકોએ આઠ બાળકોને બહાર કાઢ્યા હતા, જો કે ચાર બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે, ‘સંગરુરની ઘટના વિશે જાણીને દુખ થયું. એક સ્કૂલ વાનમાં આગ લાગવાથી આપણે 4 બાળકોને ગુમાવ્યા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડીસી અને એસએસપી ઘટના સ્થળે છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ’