ચંદીગઢ: સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને હાહાકાર છે. દેશના તમામ રાજ્યો કોરોના વાયરસના કહેરને રોકવા માટે પગલવા ઉઠાવી રહ્યા છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. પંજાબમાં સરકારે એક દિવસ પહેલા લોકડાઉનના આદેશ આપ્યા હતા. સોમવારે કડકાઈ વધારીને સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.રાજ્યમાં જરૂરી સેવાઓને છોડી તમામ કાર્યાલય, વેપારી પ્રતિષ્ઠાન અને અવરજવર બંધ રહેશે.




પંજાબ સરકારે એક દિવસ પહેલા કોરોના વાયરસના ખતરાને જોતા આખા રાજ્યમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબમાં શનિવારે એક જ દિવસમાં 11 કેસ સામે આવ્યા બાદ રવિવારે સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો હતો. એક દિવસ બાદ સોમવારે સરકારે સંપૂર્ણપણે લોકડાઉનનો નિર્ણય કર્યો છે. પંજાબમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 21 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. એક વ્યક્તિનુ મોત પણ રાજ્યમાં કોરોનાના કારણે થયુ છે.

પંજાબ સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. પંજાબ, કેરળ, દિલ્લી, યુપી, કર્ણાટકમાં પણ સતત કેસ વધી રહ્યા છે.