નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેલોમાં ભીડ ઓછી કરવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશ આપ્યા છે. કોરોના વાયરસના કારણે જેલોમાં ભીડ ઓછી થાય તેને લઈને કેદીઓને છોડી મૂકવામાં આવી શકે છે.


સુપ્રીમકોર્ટે રાજ્યને નિર્ણય કરવા માટે કહ્યું છે. જે અંતર્ગત જે કેદીઓને કોઈ મામલે 7 વર્ષ કે તેનાથી ઓછી સજા આપવામાં આવી છે અને તેઓ જેલમાં બંધ છે તો તેઓને પેરોલ કે વચગાળા જામીન આપવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એટલે આપ્યો કે જેથી જેલમાં ભીડને ઓછી કરી શકાય. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશ આપ્યાં છે કે એક હાઈલેવલની કમિટી બનાવવામાં આવે. આ કમિટી નક્કી કરશે કે કયા કેદીઓને પેરોલ આપી શકાય અને કયા કેદીને નહીં.

આ કમિટી કેદીઓની એક કેટેગરી બનાવશે અને ગુના વ્યવહારના આધારે તે નક્કી કરશે કે કોને વચગાળાના જામીન અને પેરોલ આપી શકાય. આ કમિટીમાં કાયદા સચિવ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પણ હશે.