Punjab News: આતંકવાદીઓએ પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભગવંત માન અને કેટલાક રેલવે સ્ટેશનોને નિશાન બનાવવાની ધમકી આપી છે. રાજ્યના કપૂરથલા સ્ટેશનના ડીઆરએમને મળેલા પત્રમાં સુલતાનપુર લોધી, લોહિયાં ખાસ, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ, અમૃતસર અને તરનતારન સહિત અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર જૈશ-એ-મોહમ્મદે લખ્યો છે. જો કે, આ અંગે કોઈ તારીખ કે દિવસનો ઉલ્લેખ કર્યો નથી.






આ ધમકીભર્યો પત્ર કપૂરથલાના સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પરથી મળ્યો છે. સ્ટેશન માસ્ટરના નામે લખવામાં આવેલા આ પત્રને વાંચીને પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘટનાની ગંભીરતાને જોઇને સ્ટેશન માસ્તરે ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણકારી  આપી હતી. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી નોટબુકના પેજ પર હિન્દીમાં ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો છે.






સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે કહ્યું કે, "આજે પોસ્ટ દ્વારા મળેલા ધમકીભર્યા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બદલો લેવા માટે સુલતાનપુર લોધી, ફિરોઝપુર અને જલંધર જેવા મોટા રેલ્વે સ્ટેશનોને 21 મે સુધીમાં ઉડાવી દેવામાં આવશે. મુખ્યમંત્રી અને અન્ય કેટલાક લોકો પર પણ હુમલો કરવામાં આવશે.


પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે


ઉલ્લેખનીય છે કે 21 મે સુધી ઉગ્રવાદી સંગઠનો દ્વારા પંજાબના કેટલાક રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બાદમાં સાવચેતીના ભાગરૂપે રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પંજાબ, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.