Rahul Gandhi On Sikh: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં શીખો પર આપવામાં આવેલા નિવેદન પર BJP હમલાવર છે. BJPના નેતાઓએ આ મુદ્દે દેશના અનેક રાજ્યોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.


શીખો પર આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "BJP અમેરિકામાં મારા નિવેદન વિશે જૂઠ ફેલાવી રહી છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ બહેનને પૂછવા માંગું છું... શું મેં જે કહ્યું છે, તેમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ ન હોવો જોઈએ જ્યાં દરેક શીખ અને દરેક ભારતીય કોઈપણ ડર વિના પોતાના ધર્મનું પાલન કરી શકે?"


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "BJP હંમેશાની જેમ જુઠ્ઠાણાનો સહારો લઈ રહી છે. તેઓ મને ચૂપ કરાવવા માટે આતુર છે કારણ કે તેઓ સત્ય સહન કરી શકતા નથી, પરંતુ હું હંમેશા તે મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છે... વિવિધતામાં આપણી એકતા, સમાનતા અને પ્રેમ."






અમેરિકામાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 સપ્ટેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું હતું, "લડાઈ આ વાત પર છે કે શું કોઈ શીખને પોતાની પાઘડી પહેરવા કે ભારતમાં ગુરુદ્વારા જવાની મંજૂરી આપવામાં આવશે. આ માત્ર શીખો માટે નથી, પરંતુ બધા ધર્મો માટે છે."


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી તેમના પર શીખોનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી સુધ્ધાં કહી દીધા.


આ પણ વાંચોઃ


Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું