Rahul Gandhi Ordinary Passport: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ જાણે ઓછુ થવાનું નામ જ નથી લઈ રહી. પહેલા સાંસદ પદ ગયું છે. ત્યાર બાદ હવે રાહુલ ગાંધી પાસપોર્ટને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમની અમેરિકાની મુલાકાત પહેલા નવો પાસપોર્ટ જારી કરવાની માંગ કરી છે. 


રાહુલ ગાંધીએ સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની વિનંતી કરી છે. રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ માર્ચમાં લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતાં. ત્યાર બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો.


કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયેલા રાહુલ ગાંધીએ નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી છે. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ જૂનમાં અમેરિકાની 10 દિવસની મુલાકાતે જવાના છે અને મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભાષણ આપશે.


રાહુલ અમેરિકા જશે


ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાત દરમિયાન, ભૂતપૂર્વ સાંસદ સભ્ય ભારતીય-અમેરિકનો સાથે બે જાહેર સભાઓને સંબોધશે. કેપિટોલ હિલ ખાતે ધારાશાસ્ત્રીઓ અને થિંક ટેન્કના સભ્યોને મળશે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓને મળશે.


યુકેમાં કરાયેલી ટીપ્પણીને લઈને મચ્યો હતો હોબાળો 


રાહુલ ગાંધી થોડા અઠવાડિયા પહેલા યુકેના પ્રવાસે પણ ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને દેશની સંસ્થાઓ પર ભાજપ-આરએસએસ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમની આ ટિપ્પણી બાદ ભારતમાં રીતસરનું વિવાદનું વાવાઝોડું સર્જાયું હતું. બીજેપી સાંસદોએ રાહુલ ગાંધીની માફીની માંગ સાથે સડકથી લઈને સંસદ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે રાહુલ ગાંધી પર વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો અને વિદેશી હસ્તક્ષેપની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. 


Surat Breaking: ગુજરાતમાં કઈંક મોટું થવાના એંધાણ, શું રાહુલ ગાંધી જશે જેલમાં?


કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રણનીતિમાં મોટો બદલાવ આવવાના સંકેત મળી રહ્યા છે. એવાં પણ અહેવાલો મળી રહ્યા છે કે, રાહુલ ગાંધી જેલમાં જઈ શકે છે. રણનીતિમાં બદલાવ આવતા દેશભરના કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચી રહ્યા છે. આજે ટૂંક સમયમાં રાજસ્થાનના CM અશોક ગેહલોત સુરત પહોંચશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આવતીકાલે સવાર સુધીમાં મોટી સંખ્યામાં સુરત પહોંચશે.


તો બીજી તરફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ સુરત જવા રવાના થયા છે. દિલ્હીથી શક્તિસિંહ ગોહિલ પણ સુરત આવવા રવાના થયા છે. નોંધનીય છે કે, આવતીકાલે સોમવારે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. જેને લઈને કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા છે. આવતીકાલના રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસના દિગજ નેતાઓ સહિત પ્રિયંકા ગાંધી પર પણ સુરત આવે તેવી સંભાવના છે.