નવી દિલ્હી: ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, “એક સાઈડ પસંદ કરવાનો સમય છે. મારો નિર્ણય સ્પષ્ટ છે, હું લોકતંત્ર સાથે છું. હું ખેડૂતો અને તે શાંતિપૂર્ણ આંદોલન સાથે છું.”



બીજી તરફ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, “ગઈકાલે અડધી રાતે લાઠીથી ખેડૂત આંદોલનને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજે ગાઝીપુર, સિંઘુ બોર્ડર પર ખેડૂતોને ધમકાવામાં આવી રહ્યા છે. આ લોકતંત્રના નિયમોથી વિપરીત છે. કૉંગ્રેસ આ સંઘર્ષમાં ખેડૂતો સાથે ઉભી રહેશે. ખેડૂત દેશના હિતમાં છે. જેઓ તેમને તોડવા માંગે છે તેઓ દેશદ્રોહી છે.” તેમણે વધુમાં કહ્યું કે, હિંસક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ જે ખેડૂતો શાંતિથી મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યાં છે તેમની સાથે દેશની જનતાની પૂરી શક્તી સાથે છે.



ગાઝીપુર અને સિંધુ બોર્ડર પર ગુરૂવારે બપોર પછી મોટી સંખ્યામાં દિલ્હી અને ઉત્તર પ્રદેશની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ગાઝીપુરમાં વીજળી અને પાણી સપ્લાઈ કાપી નાખવામાં આવ્યા છે. પોલીસે ખેડૂતોને કહ્યું કે આજે જ રસ્તો ખાલી કરી દે.

રાકેશ ટિકૈતએ કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે. આંદોલન ચાલુ રાખો, તેમણે ખેડૂતોને સંબોધિત કરતા ગુરુવારે સાંજે કહ્યું કે કંઈ થશે તો પ્રશાસન જવાબદાર ગણાશે. રાકેશ ટિકૈતે કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે.

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે અને આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.