રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન ભારે હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા અને એક ખેડૂતના મોતની ઘટનાના બે દિવસ બાદ સમાજસેવી અન્ના હજારેએ ગુરૂવારે જાહેરાત કરી કે તેઓ આંદોલન કરશે. અન્ના હજારેએ કહ્યું તેઓ 30 જાન્યુઆરીથી મહારાષ્ટ્રના અહમદનગરના રાલેગણ સિદ્ધિમાં ખેડૂતોની ઘણીબધી માંગને લઈ પ્રદર્શન શરૂ કરશે.


અન્નાએ નિવેદનન જાહેર કરતા પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ જ્યાં હોય ત્યાંથી જ આ પ્રદર્શનમાં ભાગ લે. ગત મહીને તેમણે કહ્યું હતું કે જો કેંદ્ર સરકાર ખેડૂતો સંબધિત માંગને નહી માને તો તેઓ ભૂખ હડતાળ શૂ કરશે. 83 વર્ષના સમાજસેવી અન્ના હજારેએ આગળ કહ્યું હતું કે આ તેમનું અંતિમ આંદોલન હશે.



મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ ગામમાં મીડિયા સાથેની વાતચીતમાં અન્ના હજારેએ કહ્યું તેઓ ખેડૂતો માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રદર્શન કરતા રહ્યા છે પરંતુ સરકારે આ મામલે સમાધાન કરવા માટે કંઈ નથી કર્યું. ગત મહીને અન્ના હજારેએ કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરને પત્ર લખી ચેતાવણી આપી હતી કે જો તેમની માંગ નહી માનવામાં આવે તો તેઓ ભૂખ હડતાળ કરશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સીનિયર ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ વિધાનસભા સ્પીકર હીરાભાઉ બાગડેએ હજારે સાથે મુલાકાત કરી હતી અને કેંદ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.