નવી દિલ્હીઃભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ડ્રગ લે છે. તેમનો દાવો છે કે જો રાહુલ ગાંધીનો ડોપ ટેસ્ટ કરવામાં આવે તો તેઓ ફેઇલ થશે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સ્વામીએ કહ્યું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે રાહુલ ગાંધી ડ્રગ લે છે. ખાસ કરીને તેઓ કોકેઇનનું સેવન કરે છે. તેઓ ડોપ ટેસ્ટમાં જરૂર નિષ્ફળ થઇ જશે.


નોંધનીય છે કે રાહુલ ગાંધીના ડોપ ટેસ્ટની વાત કરવાનું કારણ પંજાબની રાજનીતિમાં ડોપ ટેસ્ટની એન્ટ્રી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તમામ નવી ભરતીઓ દરમિયાન અને દર વર્ષે થનારા પ્રમોશન અને વાર્ષિક રિપોર્ટ તૈયાર કરતા સમયે તમામ કર્મચારીઓનો ડોપ ટેસ્ટ કરવાના નિયમ બનાવવા અને નોટિફિકેશન આપવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ તમામ નેતાઓ રાજનેતા ડ્રગ અંગે નિવેદન આપી રહ્યા છે.

ત્યારબાદ કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે કહ્યુ હતું કે સૌ પ્રથમ ડોપ ટેસ્ટ એ લોકોનો કરાવવો જોઇએ જે એવું કહે છે કે 70 ટકા પંજાબના લોકો ડ્રગ લે છે. સ્વામીએ કૌરના નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે હું તેમના નિવેદનનું સ્વાગત કરું છું.