નવી દિલ્હી: રાફેલ ડીલને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી પીએમ મોદી અને રિલાયન્સના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે જે આરોપ લગાવ્યા છે તેનો સીધો મતલબ છે કે પીએમ મોદીએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ચોરી કરી છે. જે રાફેલ વિમાન યૂપીએ સરકારે 526 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા તે અનિલ અંબાણીની મદદ કરવા માટે 1600 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા.


રાહુલ ગાંધીએ કહ્યું કે, ફ્રાંસ્વા ઓલાંદે જણાવી દીધું છે કે અનિલ અંબાણીએ જે હજારો કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યો તે પીએમ મોદીના કહેવા પર આપવામાં આવ્યો. તેનો સ્પષ્ટ અર્થ છે કે ફ્રાન્સના પૂર્વ વડાપ્રધાનમંત્રી ફ્રાંસ્વા ઓલાંદ પીએમ મોદીને ચોર કહી રહ્યા છે અને પીએમ મોદી એક શબ્દ પણ નથી બોલી રહ્યા. વડાપ્રધાને દેશને જવાબ આપવો જોઈએ નહીં તો જનતાના દિમાગમાં ઘુસી ગયું છે કે દેશનો ચોકીદાર ચોર છે.

રાફેલ ડીલ નિર્મલા સીતારમણ, મનોહર પર્રિકરે સહી નથી કરી પરંતુ ડીલ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહી કરી હતી. પીએમ મોદીએ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીની રિલાયન્સને અપાવ્યો અને આ ડીલથી 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો માત્ર પોતાના દોસ્ત અનિલ અંબાણીને અપાવી દીધી. રાફેલ ડીલ પર નિર્ણય પીએમ મોદીએ લીધો છે અને ફાયદો તે વ્યક્તિને મળ્યો છે જે વડાપ્રધાન સાથે પ્રતિનિધિમંડળમાં ફ્રાન્સ ગયા હતા. અનિલ અંબાણીની કંપની 45 હજાર કરોડ રૂપિયના દેવામાં ડૂબેલી હતી અને તેની મદદ કરવા માટે પીએમ મોદીએ રાફેલ ડીલનો સહારો લીધો.

રાહુલ ગાંધીએ કહ્યું પીએમ મોદીએ દેશ સામે આવીને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના આરોપ પર જવાબ આપે પરંતુ તેઓ કોઈ જવાબ નથી આપી રહ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું રાફેલ ડીલમાં દેશના જવાનોના અને જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા. ફ્રાંસ્વા ઓલાંદે ખુલાસો કરી દીધો છે કે ડસોલ્ટે આ કરાર રિલાયન્સ સાથે વડાપ્રધાન મોદીના કહેવા પર કર્યો અને રાફેલ ડીલમાં 100 ટકા ભ્રષ્ટાચાર થયો છે. પીએમ મોદી આ મામલે દેશને જવાબ આપે.