નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીને કારણે ઉત્તર પ્રદેશમાં 41 લોકોનાં મોત નિપજ્યાં છે. છેલ્લા થોડા દિવસની સરખામણીએ ઠંડીનું પ્રમાણ અચાનક ઘટતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આજે કાનપુર, ઉન્નાવ અને જાલોન સહિતના વિસ્તારમાં વરસાદની સાથે કરા પડવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. જેના કારણે સ્થાનિકો ફરી મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે.

ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોની સાથે થોડો તડકો નીકળ્યો હતો. અધિકતમ તાપમાન 20 ડિગ્રીની પાર પહોંચી ગયું હતું. હાડ થીજાવતી ઠંડીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં ઈટાવા 4.8 ડિગ્રી, બાંદા 5.4 ડિગ્રીની સાથે સૌથી ઠંડું રહ્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, યુપીમાં અનેક જગ્યાઓએ વરસાદની સંભાવના છે. કેટલાંક સ્થળોએ કરા પડી શકે છે. આ માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. પહાડો પર સતત થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં શીતલહેરના રૂપે જોવા મળી રહી છે. જોકે હજુ હવામાનમાં થોડો ફેરફાર આવ્યો છે ત્યારે અન્ય તરફ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે.