જયપુરઃ રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હોર્સ ટ્રેડિંગ (ધારાસભ્યોના ખરીદ વેચાણ)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગઈકાલ રાતે જ્યારે વિધાનસભા સત્ર બોલાવવાની જાહેરાત થઈ છે, રાજસ્થાનમાં ત્યારથી ધારાસભ્યોના ખરીદ વેચાણના ભાવ વધી ગયા છે. આ પહેલા પ્રથમ હપ્તો 10 કરોડ અને બીજો હપ્તો 15 કરોડ રૂપિયાનો હતો. હવે તે અમર્યાદિત થઈ ગયો છે. બધા લોકો જાણે છે કે ક્યા લોકો ખરીદ વેચાણમાં લાગ્યા છે.’


તેમણે બીએસપી પ્રમુખ માયાવતી પર હુમલો કરતાં કહ્યું કે, તે મજબૂરીમાં નિવેદન આપી રહી છે. તેની ફરિયાદ વાજબી નથી. છ બીએસપી ધારાસભ્ય પોતાના વિવેકથી કોંગ્રેસમાં જોડાયા છે.

મુખ્યમંત્રીએ બાગી ધારાસભ્યોના વિધાનસભા સત્રમાં સામેલ થવાને લઈને કહ્યું કે, ‘હું હજુ પણ ઇચ્છું છું કે જે અસંતુષ્ટ ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે, તે વિધાનસભા સત્રમાં ભાગ લે. એ સુનિશ્ચિત કરવું મારી જવાબદારી છે કે તેઓ લોકોની સામે સરાકરની સાથે ઉબા રહે.’

ગેહલોતે ગુરૂવારે વિધાનસભા પક્ષની બેઠક યોજી હતી. હોટેલ ફેરમાઉન્ટમાં યોજાયેલી આ બેઠકમાં ગેહલોતે ધારાસભ્યોને કહ્યું કે તમે બધા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો હોટેલમાં જ ઊજવો. તમે તહેવારોની ઊજવણી માટે પરિવારને પણ હોટેલમાં જ બોલાવી લો. લોકતંત્રની રક્ષા માટે તમારે 21 દિવસ સુધી અહીં જ રહેવું પડશે.

રાજ્યપાલ દ્વારા 14મી ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી આપ્યા પછી કોંગ્રેસ વિધાનસભા પક્ષની આ પ્રથમ બેઠક હતી. એક તરફત ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની હોટેલમાં છે જ્યારે સચિન પાયલટ જૂથના ધારાસભ્યો હરિયાણાની રિસોર્ટમાં છે. પાયલટ જૂથના ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેશે.