જયપુર: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજસ્થાનની રાજધાની જયપુપરનું રામગંજ પણ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અહીં એક વ્યક્તિની બેદરકારીના કારણે 126 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે.


રામગંજમાં પ્રથમ કોરોના કેસ 2 માર્ચે ઈટાલીના નાગરિકનો આવ્યો હતો. 25 માર્ચ સુધી અહીં માત્ર 8 લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા પરંતુ 26 માર્ચે નવ પોઝિટિવ કેસ આવ્યા બાદ એવો કોરોના કહેર વધતા 8 એપ્રિલ સુધી સંક્રમિતોની સંખ્યા 129 પર પહોંચી ગઈ. આ સિવાય રાજ્યમાં કોરોનાથી 65 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે અને મૃતકોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે.

એકલા રામગંજમાં 126 કેસ સામે આવ્યા છે. જેના માટે માત્ર એક શખ્સ જવાબદાર છે. 45 વર્ષીય આ યુવક 12 માર્ચના રોજ ઓમાનથી પરત ફર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર તેનામાં કોરોનાના કોઈ લક્ષણો ન જણાતા તેને જવા દીધો હતો. જ્યારે સ્વાસ્થ્યકર્મીઓને તેની જાણકારી મળી તો તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને તેને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવા કહ્યું હતું.

જો કે, આ યુવકે સૂચનાનું પાલન ન કરતા પોતાના સંબંધીઓ, પરિવાર અને મિત્રોને મળતો રહ્યો હતો. 26 માર્ચના રોજ તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાં સુધી તો તે 200થી વધુ લોકોના સંપર્કમાં આવી ચૂક્યો હતો. 24 કલાક બાદ તેના મિત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. તેના બાદ કેસ વધવાના શરૂ થઈ ગયા અને અટક્યા નહીં.

શુક્રવારે રાજસ્થાનમાં 26 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 489 થઈ ગઈ છે.