રાજસ્થાનના રાજ્યપાલે વિધાનસભાના સત્ર અંગે અશોક ગેહલોત પાસે ક્યા બે મુદ્દે માંગી સ્પષ્ટતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2020 02:00 PM (IST)
રાજ્યપાલે કહ્યું કે, પ્રસ્તાવમાં તેમણે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જ્યારે તમે જાહેરમાં અને મીડિયામાં કહી રહ્યા છો કે તમે વિશ્વાસ પ્રસ્તાવ લાવશો.
જયપુરઃ આજે સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન વિધાસભાના સ્પીકર સીપી જોશીની અરજી પણ સુનાવણી થઈ અને સીપી જોશીએ પોતાની અરજી પરત લેવા માટે મંજૂરી માગી જેને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધી હતી. છેલ્લાં ઘણાં દિવસથી રાજસ્થાનની રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. તેની શરૂઆત સીએમ અશોક ગેહલોતની બોલાવવામાં આવેલ ધારાસભ્ય દળની બેઠકથી થઈ જેમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પોતાના જૂથના ધારાસભ્યો સાથે ન પહોંચ્યા. ત્યાર બાદ રાજનીતિ બન્ને જૂથ આમને સામને આવી ગયા છે અને આ લડાઈ હજુ પણ ચાલુ છે. આજે કોર્ટમાં સુનાવણી બાદ સમાચાર આવ્યા છે કે, રાજસ્થાનના રાજ્યપાલ ગલરાજ મિશ્રએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે બે મુદ્દાઓ પર સ્પષ્ટતા માગી છે. સૂત્રો દ્વારા જાણવા મળેલા જાણકારી અનુસાર રાજ્યપાલે મુખ્યમંત્રીને કહ્યું છે કે, શું તેઓ વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગે છે? કારણ કે પ્રસ્તાવમાં તેમણે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જ્યારે તમે જાહેરમાં અને મીડિયામાં કહી રહ્યા છો કે તમે વિશ્વાસ પ્રસ્તાવ લાવશો. બીજા જે મુદ્દે રાજ્યપાલ સ્પષ્ટતા માગે છે તે એ છે કે, શું આટલા ઓછા સમયમાં તમામ ધારાસભ્યોને વિધાનસભા સત્ર માટે બોલવવા મુશ્કેલ થશે. શું તમે વિધાનસભા સ્તર બોલાવવાને લઈને 21 દિવસની નોટિસ આપવા પર વિચાર કરી શકો છો.