રાજસ્થાન: કૉંગ્રેસ વિધાનસભામાં લાવશે વિશ્વાસ પ્રસ્તાવ, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Aug 2020 10:32 PM (IST)
મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે નારાજગીનો અંત આવ્યો છે. સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોની કૉંગ્રેસમાં ધર વાપસી થઈ ગઈ છે.
જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે નારાજગીનો અંત આવ્યો છે. સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોની કૉંગ્રેસમાં ધર વાપસી થઈ ગઈ છે. સચિન પાયલટે ગેહલોત સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. તેના બાદ કૉંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં અશોક ગેહલોતના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકારે આવતીકાલથી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાં વિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી ગેહલોતે ધારાસભ્યને અત્યાર સુધી જે બન્યું તે ભૂલીને આગળ વધવા કહ્યું હતું. આ બેઠકમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પણ હાજર રહ્યા હતા. બીજુ બાજુ ભાજપે કહ્યું કે, તેઓ આવતીકાલથી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાં ગેહલોતની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજસ્થાન વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ધારાસભ્ય પાસેથી પ્રસ્તાવ પર સહી પણ કરાવી લેવાઈ છે. ભાજપનું કહેવું છે કે, ગેહલોત સરકાર પાસે સંખ્યાબળ નથી. ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, અશોક ગેહલોતની સરકાર હારી ગઈ છે. ધારાસભ્ય દળની બેઠકમાં 71 ધારાસભ્ય સામેલ હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલસીના ત્રણ ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા.