આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત આમ આદમી પાર્ટીના સાત બળવાખોર સાંસદોના ભાજપમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ભાજપના સાંસદોની યાદીમાં આ સાત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના સાત સાંસદો ભાજપમાં જોડાતા રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપમાં જોડાતા AAP સાંસદોમાં અશોક કુમાર મિત્તલ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે.

Continues below advertisement
Continues below advertisement

AAP પાસે ફક્ત ત્રણ સાંસદ બાકી છે

શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ભાજપ પ્રમુખ નીતિન નવીને સાંસદોને મીઠાઈ ખવડાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. સાત AAP સાંસદોના ભાજપમાં વિલીનીકરણ બાદ પાર્ટી પાસે હવે ફક્ત ત્રણ સાંસદ છે. આ છે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહ.

સાંસદોના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ ગુસ્સે ભરાયા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સાત સાંસદોના આમ આદમી પાર્ટી છોડવાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. સંજય સિંહે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો કે ભાજપે નિયમો વિરુદ્ધ કામ કર્યું છે. આમ છતાં આ સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોની મુશ્કેલી વધશે: સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ!

AAP એ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો

રવિવારે (26 એપ્રિલ, 2026), આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને AAP છોડી ગયેલા સાત સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આ સાંસદો આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ બાદમાં પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાનો નિર્ણય લીધો."

સંજય સિંહે જણાવ્યું હતું કે AAP ના સાત સાંસદોનું આ પગલું પક્ષપલટો સમાન છે. તે પંજાબના લોકો અને ભારતના બંધારણ સાથે દગો હતો. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડે તો આમ આદમી પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી કરશે. જો કે, રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલ એક નોટિફિકેશનમાં હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની માંગને નકારી કાઢવામાં આવી છે. હવે આ સાંસદોને ભારતીય જનતા પાર્ટીના માનવામાં આવશે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉપલા ગૃહમાં ફક્ત ત્રણ સાંસદો બાકી છે.