ભોપાલ:  મધ્યપ્રદેશ (Madhyapradesh)  નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ શાનદાર પ્રદર્શન કરતા ખૂબ જ મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની સુરતની જેમ જ  મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી છે.  સિંગરૌલી મનપા(Singrauli Municipal Corporation) બેઠક પરના મેયર ઉમેદવાર  રાની અગ્રવાલની જીત થઈ છે.   રાની અગ્રવાલે(Rani Agarwal ) ભાજપ(BJP) ઉમેદવારને 9352 મતોથી હરાવ્યા છે.  દિલ્હી પંજાબ બાદ આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પણ પગપેસારો કરી રહી છે. પહેલી વખત આમ આદમી પાર્ટી (AAP)એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસને પણ મોટો ફાયદો થયો છે. વર્ષ 2015માં એક પણ સીટ ન જીતનારી કોંગ્રેસ આ વખત 3 મેયર બનાવવામાં સફળ થઈ છે.


ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ જીતનો સ્વાદ ચાખ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના 4 કાઉન્સિલર ચૂંટાયા છે. રવિવારે ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર, બુરહાનપુર, સિંગરોલી, સાગર, સતના, છિંદવાડા અને ખંડવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ સામે આવ્યા હતા. પહેલા આ બધી સીટો પર ભાજપનો કબજો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ માત્ર 7 સીટો ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, સાગર, સતના, ખંડવા અને બુરહાનપુરમાં જ જીત મળી શકી.


મધ્યપ્રદેશના  ગ્વાલિયર, જબલપુર અને છિંદવાડામાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર મેયર બન્યા છે. એ સિવાય સિંગરોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાની અગ્રવાલે જીત હાંસલ કરી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત મેયરની ચૂંટણી જીતી છે. એટલું જ નહીં, મધ્ય પ્રદેશની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની એન્ટ્રી થઈ છે. ગ્વાલિયરમાં ભાજપને શરમજનક હાર મળી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ગ્વાલિયરમાં કોંગ્રેસના મેયર પદના ઉમેદવાર શોભા સિકરવારે મેયરની ચૂંટણી જીતી છે જ્યારે ભાજપના ઉમેદવાર બીજા નંબર પર રહ્યા હતા.