Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) નું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. રાજકારણ, સિનેમા, રમતગમત, ઉદ્યોગ જગત જેવા દરેક ક્ષેત્રના દિગ્ગજોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.






તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, 'શ્રી રતન ટાટાજી એક દૂરદર્શી બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માણસ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સારા બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.


રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો


રાજનાથ સિંહે X પર લખ્યું હતું કે , ' રતન ટાટાના નિધનથી હું દુઃખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના એક એવા દિગ્ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.






રતન ટાટાનું નિધન એક અપુરતી ખોટ છેઃ સીએમ યોગી


ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખ્યું હતું કે ભારતના જાણીતા ઉદ્યોગપતિ, 'પદ્મ વિભૂષણ' શ્રી રતન ટાટાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ ભારતીય ઉદ્યોગના મહાનનાયક હતા. તેમનું નિધન એ ઉદ્યોગ માટે અપુરતી ખોટ છે. તેમનું સમગ્ર જીવન દેશના ઔદ્યોગિક અને સામાજિક વિકાસ માટે સમર્પિત હતું. તેઓ ખરા અર્થમાં દેશના રત્ન હતા. ભગવાન શ્રી રામ દિવંગત પૂણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને પ્રશંસકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.ઓમ શાંતિ!


ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ દુઃખ વ્યક્ત કર્યું


ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ પર લખ્યું હતું કે ' રતન ટાટા સાથે ગૂગલમાં મારી છેલ્લી મુલાકાતમાં અમે વેમોની પ્રગતિ વિશે વાત કરી હતી અને તેમનું વિઝન સાંભળવું પ્રેરણાદાયક હતું. તેઓ એક અસાધારણ વ્યવસાય અને પરોપકારી વારસો છોડીને ગયા છે અને ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપને માર્ગદર્શન આપવા અને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ભારતને વધુ સારું બનાવવા માટે ખૂબ જ ચિંતિત હતા. તેમના સ્નેહીજનો પ્રત્યે ઊંડી સંવેદના અને શ્રી રતન ટાટા જીને શાંતિ મળે.






નીતિન ગડકરીએ કહ્યું- તેમના નિધનના સમાચારથી હું આઘાતમાં છું.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર લખ્યું હતું કે  'દેશના ગૌરવવંતા પુત્ર રતન ટાટા જીના નિધનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ છું. ત્રણ દાયકાથી વધુ સમયથી મને તેમની સાથે એક ગાઢ અંગત અને પારિવારિક સંબંધ રાખવાનું સૌભાગ્ય મળ્યું હતું. જ્યાં મેં તેમની નમ્રતા, સાદગી અને તમામ પ્રત્યે વાસ્તવિક સન્માન જોયું પછી તેમની સ્થિતિ ભલે ગમે તે હોય.  તેમના જીવનમાં પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા, જે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે, અર્થતંત્ર અને રોજગાર નિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાનથી અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ એક સમર્પિત દેશભક્ત અને સામાજિક રીતે સભાન નેતા હતા જેમણે સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. હું તેમની પાસેથી જે શીખ્યો છું તે હંમેશા મારા જીવનમાં ગુંજતું રહેશે.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર લખ્યું હતું કે  'શ્રી રતન ટાટાના નિધનથી ભારતે એક એવા આઇકનને ગુમાવ્યો છે જેણે કોર્પોરેટ વિકાસને રાષ્ટ્ર નિર્માણ અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યા. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત તેમણે ટાટાના મહાન વારસાને આગળ ધપાવ્યો અને તેને વધુ પ્રભાવશાળી વૈશ્વિક હાજરી આપી. પરોપકાર અને દાનમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હું તેમના પરિવાર, ટાટા ગ્રુપની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.