નવી દિલ્હી: કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાનો પ્રસ્તાવ પાસ થયો છે. સત્તાપક્ષ સીપીએમના નેતૃત્વવાળા ગઠબંધન એલડીએફ અને કૉંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન યૂડીએફએ વિધાનસભામાં CAAના વિરોધવાળા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. જ્યારે ભાજપના એકમાત્ર સભ્યએ તેનો વિરોધ કર્યો હતો. કેરળ સરકારના આ પ્રસ્તાવ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે નાગરિકતા પર માત્ર સંસદને કાયદો પાસ કરવાનો અધિકાર છે. વિધાનસભાને નહીં.


કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો કોઈ પણ ભારતીય નાગરિકને સંબંધિત નથી. આ કાયદો કોઈ ભારતીઓને ના તો નાગરિકતા આપે છે. ના તો તેને છીનવે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કેટલાક સ્વાર્થી તત્વ તેનો ખોટો પ્રચાર કરી રહ્યાં છે. CAA બંધારણીય અને કાયદાકીય છે.


કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને CAAને રદ કરવાની માંગ કરતો પ્રસ્તાવ વિધાનસભમાં રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન એક્ટ ધર્મનિરપેક્ષની દ્રષ્ટિ વિરુદ્ધ અને બંધારણના આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોના વિરોધાભાસી છે.


તેઓએ કહ્યું હતું કે, દેશના લોકો વચ્ચે ચિંતાને જોતા કેન્દ્ર સરકારે CAAને પરત લેવા માટે પગલા લેવા જોઈએ અને સંવિધાનને ધર્મનિર્પેક્ષની દ્રષ્ટિએ સમાનતા રાખવી જોઈએ. કેરળ દેશની પ્રથમ એવી વિધાનસભા છે જેમાં CAA લાગુ કરવા અને જનસંખ્યા રજિસ્ટર બનાવવાની કવાયતના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો છે.