નવી દિલ્હીઃ રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો છે. હવે થોડી જ વારમાં પરેડ શરૂ થશે. આ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદની રાજપથ પર પીએમ મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કર્યું હતું. અહીં રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજપથ જતા પહેલા નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર ત્રણેય સેનાના પ્રમુખ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

આ પહેલા રાજપથ પર પરેડની કમેન્ટ્રી શરૂ થઈ ગઈ હતી. કમેન્ટ્રની શરૂઆતમાં એલએસી પર ચીનનો સામનો કરનાર સૈનિકના પરાક્રમ અને ગલવાન ખીણમાં વીરગતિ પામેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સેનાઓના આધુનિકિકરણ, કોવિડ વિરૂદ્ધ ભારતની જંગ અને ખેડૂતો માટે ચાલી રહેલ જુદી જુદી યોજનાઓ અને દેશની પ્રગતિ અને વિકાસ વિશે પૂરી જાણકારી આપવામાં આવી હતી.

કોરોનાને કારણે આ વખતે પરેડ બદલાયેલી લાગશે. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થશે કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ નહિ હોય. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1996માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.

રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ વખત સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ(DBT)નાં ટેબ્લો સામેલ થઈ રહ્યાં છે. તેમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોરોના વેક્સિન વિશે જણાવવામાં આવશે.