પ્રધાનમંત્રી નરેંદ્ર  મોદીની જાહેરાતના એક દિવસ બાદ જ ભારત સરકારે  કોરોના વાયરસ રસીકરણ(Vaccination)અભિયાન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ કેંદ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી (Vaccine)ખરીદશે અને તે રાજ્યોને વિના મૂલ્યે આપશે. જો કે ખાનગી હોસ્પિટલો માટે રસીના ભાવ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે


રાજ્યો કેંદ્રમાંથી જે રસી(Vaccine) મેળવશે તે મુજબ રાજ્ય સરકારો રસીઓને જિલ્લાઓમાં વહેંચશે. અહીં આરોગ્ય કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે અને તે પછી જેમને બીજો ડોઝ લેવાનો છે તેમને પસંદગી આપવામાં આવશે. રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશે


નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસીકરણ (Vaccination)ની પ્રાયોરિટી છેલ્લે રહેશે. જેમાં 18 થી વધુ ઉંમરના લોકોને રસી માટે રાજ્ય સરકારે અગ્રતા જાતે નક્કી કરવી પડશે. આમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વસ્તી, રોગનો ફેલાવો અને રસીકરણની પ્રગતિના આધારે રસી(Vaccine)ના ડોઝ ફાળવશે.આ રસીના રાજ્યમાં બગાડની ફાળવણી પર નકારાત્મક અસર પડશે.



કેન્દ્ર રાજ્ય સરકારને રસી ફાળવણીની અગાઉથી જાણ કરશે


સરકાર દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા મુજબ કેંદ્ર રાજ્ય સરકારને અગાઉથી જાણ કરશે કે કેટલા ડોઝ મળવાના છે. આ ઉપરાંત રાજ્ય સરકારો જિલ્લાઓમાં રસીનું વિતરણ કરશે અને આખરે જિલ્લાઓ અને રસીકરણ કેંદ્રો દ્વારા લોકોને જાહેર કરવામાં આવશે જેથી લોકોને કોઈ તકલીફ ન પડે.


નવી નીતિ મુજબ રાજ્યો હવે આ રસી ખરીદશે નહીં


આ પૂર્વે જૂની નીતિ મુજબ કેંદ્ર સરકાર રસીનો 50 ટકા હિસ્સો ખરીદતી હતી. પરંતુ હવે તે 75 ટકા ખરીદી કરશે. જૂની નીતિ મુજબ 25 ટકા રાજ્યોએ આ રસી ખરીદવી પડી હતી. પરંતુ નવી નીતિ મુજબ રાજ્યો હવે આ રસી ખરીદશે નહીં. જોકે, ખાનગી હોસ્પિટલો માટે નવી નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


નવી નીતિ મુજબ શું બદલાશે


1. કેન્દ્ર સરકાર પ્રાધાન્યતા જૂથ અને 45+ વય જૂથો માટે 50 ટકા ડોઝ ખરીદતી હતી, પરંતુ 50 ટકાને બદલે 75 ટકા રસી વિના મૂલ્યે આપવામાં આવશે. આ અંતર્ગત 18+ લોકોને વિના મૂલ્યે રસી પણ આપવામાં આવશે.


2 1 મે ​​સુધી રાજ્યોએ 18+ લોકો માટે રસી બજારમાંથી ખરીદવી પડી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર રાજ્યોને વિના મૂલ્યે આ રસી પણ આપશે.


3  45+ વયના લોકોને વિના મૂલ્યે રસી લેવાનો લાભ મળતો રહેશે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવવા માટે પહેલાની જેમ પૈસા ચૂકવવા પડશે.


4  21 જૂનથી 18-44 વર્ષની વયના લોકો સરકારી કેન્દ્રો પર વિના મૂલ્યે રસી મેળવી શકશે. જો કે, ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચૂકવવા પડશે.