પટનાઃ લોક જનશક્તિ પાર્ટીના છમાંથી પાંચ સાંસદોએ ચિરાગ પાસવાનને છોડીને પોતાનો અલગ રસ્તો કરી દીધો છે. છેલ્લા બે દિવસથી થઇ રહેલી ચર્ચા વચ્ચે બિહારની રાજનીતિમાં એક નવો વળાંક આવ્યો છે. પશુપતિ પારસ અને ચિરાગ પાસવાનના કાકા એનડીએનને સાથ આપશે. આ નિવેદન બાદ લાલૂ યાદવની દીકરી રોહિણી આચાર્યાએ પશુપતિ પારસ અને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.


રોહિણીએ ટ્વિટર પર લખ્યું કે આત્મા વેચીને પક્ષપલટુના ખોળામાં જઇને બેઠા. સ્વર્ગીય રામવિલાસ પાસવાનજીના આદર્શોને જેણે હરાજી કરી દીધી. દવા અને સારવારના અભાવમાં લોકો તડપી તડપીને મરી રહ્યા હતા. કુશાસન બાબૂ મહેલોમાં  વિરોધી પાર્ટીને તોડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.



રોહિણીએ કહ્યું કે, મોટા ભાઇએ તેમને રાજકારણમાં લાવ્યા. એ ભાઇની પાર્ટીને સત્તાની લાલચમાં આવીને તોડવાનું ષડયંત્ર રચ્યું. બીજી તરફ રોહિણીના ટ્વિટ સિવાય આરજેડીના ધારાસભ્ય અને નેતા શક્તિસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહે કહ્યું કે, જે રીતે લોકો બીજાના ઘરમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ ભૂલવું જોઇએ નહી કે આગની લપેટો તેમના ઘરોને પણ રાખ કરી શકે છે. તેમણે મુખ્યમંત્રી નીતિન કુમાર પર આરોપ લગાવતા કહ્યું કે,જેડીયૂ લાલચ આપનારી પાર્ટી છે. ધનબળનો પ્રયોગ કરી તે નાની પાર્ટીઓને તોડે છે.


ચિરાગ પાસવાનનો સાથ છોડનાર પાંચ સાંસદોમાં નવાદાથી ચંદન કુમાર, સમસ્તીપુરથી પ્રિન્સ પાસવાન, ખગડિયાથી મહબૂબ અલી કેસર અને વૈશાલીથી વીણા દેવી સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ચિરાગના કામકાજથી ખુશ નહોતા અને પાર્ટી પોતાની રીતે ચલાવવાથી નારાજ હતા.



નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રામવિલાસ પાસવાનના મૃત્યુ બાદ ચિરાગ પાસવાન પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. જોકે વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનથી અલગ ચૂંટણી લડવાના નિર્ણય બાદ એલજેપીની હાર થઇ હતી. એલજેપી બિહારની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે.