નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશમાં લોકડાઉન ઉઠાવી લઈ ‘અનલોક 1’ જાહેર કર્યું પછી કોરોનાના કેસ વધ્યા છે. મોદી સરકાર આ સમસ્યાને ઉકેલવા મથી રહી છે ત્યારે દેશભરમાં વધી રહેલા કેસોના કારણે ફરી લોકડાઉન લદાશે એવા મેસેજ વાયરલ થયા છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર દ્વારા દેશભરમાં 18 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને લોકડાઉન ઉઠાવી લેવાયું એ વખતે અપાયેલી સંખ્યાબંધ છૂટછાટો પાછી ખેંચી લેવાશે. આ વખતે કડક લોકડાઉન લાદવામાં આવશે એવો મેસેજ એક જાણીતી નેશનલ ચેનલની બંગાલી ભાષાની ચેનલના હવાલાથી કરાયો છે.


ભારત સરકારે આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ફરી લોકડાઉ લદાશે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સાવ ખોટો અને આધારહીન છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી તેથી લોકોએ આવી અફવાઓ ફેલાવનારાંથી સાવચેત રહેવું.

ભારત સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજની તસવીર મૂકીને તે નહીં માનવા લોકોને અપીલ કરાઈ છે. આ મેસેજ સામે કેટલાંક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.