જયપુર: રાજસ્થાન કૉંગ્રેસ અધ્યક્ષ અને ઉપ મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ સચિન પાયલટે એ લોકોનો ટ્વિટ કરી આભાર વ્યક્ત કર્યો જેમણે તેમનું સમર્થન કર્યું છે. સચિન પાયલટે કહ્યું, આજે મારા સમર્થનમાં જેઓ બહાર આવ્યા છે તે બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરૂ છું.


આ પહેલા સચિન પાયલટે ટ્વિટ કરતા કહ્યું હતું, 'સત્યને પરેશાન કરી શકાય પરાજિત નહી.'



ઉલ્લેખનીય છે કે અશોક ગહેલોત સરકાર સામે બળવો કરનાર સચિન પાયલટ અને તેમના સાથી નેતાઓ સામે કૉંગ્રેસે કડક વલણ અપનાવતા કાર્યવાહી કરી છે. પાયલટને ઉપમુખ્યમંત્રી પદની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

આ સાથે જ પાર્ટીએ પાયલટ જૂથમાં ગયેલા સરકારના બે મંત્રીઓ વિશ્વેંદ્ર સિંહ અને રમેશ મીણાને પણ તેમના પદ પરથી હટાવ્યા છે. આ નિર્ણય ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

ધારાસભ્ય દળની બેઠક બાદ કૉંગ્રેસ પ્રવક્ત રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલટ ભાજપની જાળમાં ફસાઇ ગયા અને કોંગ્રેસની સરકાર પાડવાના કાવતરામાં સામેલ થઈ ગયા.