નવી દિલ્હી: પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેનારી વિશ્વ હિંદુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું, બળાત્કાર, આતંકવાદ,નક્સલવાદ જેવી બદીઓ નહેરૂ પરિવારની દેન છે. વીએચપી નેતા સાધ્વીએ આ પ્રકારનું નિવેદન મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યું છે.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત રેપ કેપિટલ તરીકે વિકસિત થઈ રહ્યું છે. રાહુલના આ નિવેદનનો જવાબ આપતાં સાધ્વી પ્રાચીએ વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા છે. પ્રાચીએ કહ્યું કે અખિલેશ જ્યારે સત્તામાં હોય છે તો બળાત્કારીઓને બચાવે છે અને વિપક્ષમાં આવતાની સાથે જ ધરણાં પર બેસી જાય છે.

સાધ્વી પ્રાચીએ હૈદરાબાદ ગૈંગરેપ અને મર્ડરના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર પર હૈદરાબાદ પોલીસના વખાણ કર્યા અને કહ્યું કે હૈદરાબાદ પોલીસ પાસેથી સીખ લઈને ઉત્તર પ્રદેશ પોલીસે પણ આવી કાર્યવાહી કરવી જોઈએ.