Sardar Vallabhbhai Patel Death Anniversary: સરદાર વલ્લભભાઈ પટેલ દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા, જેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા પછી સરદાર પટેલે કોઈપણ યુદ્ધ વિના 565 રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા. આ જ કારણ છે કે લોકો તેમને 'લોહપુરુષ' કહે છે. આજે (15 ડિસેમ્બર) સરદાર પટેલની 73મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.






પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે 'ગ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીશું અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. 


હાર્ટઅટેકથી થયું હતું નિધન


સરદાર પટેલનો જન્મ 1875માં ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત બેરિસ્ટર તરીકે કરી અને બાદમાં રાજકારણમાં જોડાયા. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. સરદાર પટેલે ઘણી રેલીઓ યોજીને અંગ્રેજ સરકારને ઉથલાવી. દેશને આઝાદ કરાવવા માટે તેઓ ઘણી વખત જેલમાં પણ ગયા હતા. પરંતુ આ દરમિયાન તેમણે તેની હિંમતને તૂટવા દીધી નહોતી.


સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ બોમ્બે (મુંબઈ)માં હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી પરિવારથી દૂર રહીને અભ્યાસ કર્યો હતો. ઈંગ્લેન્ડ જતા પહેલા સરદાર પટેલે કાયદાનો અભ્યાસ કર્યો અને ગોધરા, બોરસદ અને આણંદમાં પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સરદાર પટેલ 36 વર્ષના હતા ત્યારે તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે લંડનમાં ઈન્સ ઓફ કોર્ટમાં મિડલ ટેમ્પલમાં એડમિશન લીધું. તેમણે પોતાનો 36 મહિનાનો કોર્સ 30 મહિનામાં પૂરો કર્યો હતો.