Jahangirpuri Demolition Drive: જહાંગીરપુરીમાં હિંસા બાદ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની MCDની કાર્યવાહી પર બ્રેક લગાવી દીધી છે. કોર્ટે હાલ પૂરતો યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે ફરી ગુરુવારે સુનાવણી થશે. અગાઉ જમીયત-ઉલેમા-એ-હિંદે દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી સામેની તેની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. દુષ્યંત દવેએ મામલો મૂક્યો હતો. તેમણે કહ્યું કે ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નોટિસ આપવામાં આવી નથી. આ પછી CJI- યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ.


ઈકબાલ સિંહે કહ્યું- SCના આદેશનું પાલન કરશે


ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રાજા ઇકબાલ સિંઘે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને તેઓ આદેશનું પાલન કરશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે અને તે મુજબ કાર્યવાહી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે હાલ પૂરતું ગેરકાયદે બાંધકામ તોડવાનું બંધ કર્યું છે.




બુલડોઝર મામલે ઓવૈસીનો હુમલો


AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જહાંગીરપુરીમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવાના નિર્ણયને 'ગરીબો વિરુદ્ધ બીજેપીની યુદ્ધની ઘોષણા' ગણાવ્યો છે. સાથે જ આ નિર્ણય પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ભૂમિકાને પણ શંકાસ્પદ ગણાવી છે. અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ભાજપે ગરીબો સામે યુદ્ધની જાહેરાત કરી છે. ભાજપ યુપી અને એમપીની જેમ દિલ્હીમાં અતિક્રમણના નામે મકાનો તોડી પાડવા જઈ રહી છે. કોઈ નોટિસ નહીં, કોર્ટમાં જવાની તક નહીં. બસ ગરીબ મુસ્લિમોને જીવીત રહેવાની સજા આપો. અરવિંદ કેજરીવાલે પોતાની શંકાસ્પદ ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. શું તેમની સરકારની PWD આ 'ડિમોલિશન ડ્રાઇવ'નો ભાગ છે? શું જહાંગીરપુરીના લોકોએ આવા વિશ્વાસઘાત અને કાયરતા માટે જ તેમને મત આપ્યા હતા? તેમનું વારંવાર ટાળવું અને 'પોલીસ અમારા નિયંત્રણમાં નથી' એવું કહેવું અહીં કામ નહીં કરે. પોતાના ટ્વીટના અંતમાં અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું, "નિરાશાજનક સ્થિતિ."