કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર લગાવી છે. આમ કહીને સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો નથી. ચીફ જસ્ટિસ બીઆર ગવઇએ વિજય શાહને ફટકાર લગાવતા કહ્યું કે તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી થઇને તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ એક મંત્રીને શોભે છે?
કોર્ટે કહ્યું કે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવતી નથી. જ્યારે દેશ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જવાબદારીવાળા પદ પર રહેલા વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખી શકાય નહીં.
સીજેઆઈએ કહ્યું હતું કે, તમે જાણો છો ને તમે કોણ છો, જેના પર વિજય શાહના વકીલે કહ્યું કે તેમના અસીલે માફી માંગી લીધી છે. મીડિયાએ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું છે. મીડિયાએ તેને વધુ પડતો પ્રચાર કર્યો. વકીલે કહ્યું કે હાઇકોર્ટે આદેશ આપતા પહેલા અમને સાંભળ્યા નથી.સીજેઆઈએ કહ્યું કે તમે હાઈકોર્ટ કેમ ન ગયા? આપણે કાલે આ મામલાની સુનાવણી કરીશું. આમ કહીને કોર્ટે વિજય શાહ વિરુદ્ધ FIR પર સ્ટે આપવાની માંગ કરતી અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.
નોંધનીય છે કે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની વિરુદ્ધ મહુ તાલુકા સ્થિત માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કર્નલ સોફિયા કુરેશી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર મધ્યપ્રદેશ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિજય શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ત્રણ ગંભીર કલમો - કલમ 152, 196(1)(બી) અને 197(1)(સી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી ત્યારબાદ તેમણે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.