કમલનાથનો સ્ટાર પ્રચારકનો દરજ્જો પરત લેવાના ચૂંટણી પંચના આદેશ પર SCની રોક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2020 05:13 PM (IST)
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ આદેશ પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટયા ચૂંટણી પંચ પાસે આનો અધિકાર નથી. આયોગે આઈટમ વાળી ટિપ્પણી પર કમલનાથ પર કાર્યવાહી કરી હતી. કમલનાથે મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક મહિલા ઉમેદવાર ઈમરતી દેવી માટે આઈટમ શબ્દનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર મામલે કમલનાથ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તેમને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવ્યા હતા. આયોગના આદેશને કમલનાથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી આયોગે તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. આ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ અને કોર્ટે ચૂંટણી પંચના આદેશ પર રોક લગાવી દીધી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું કે હવે તે બાબતે સુનાવણી કરશે કે શું ચૂંટણી પંચ પાસે આ બાબતનો અધિકાર છે કે તે કોઈ પાર્ટીના સ્ટાર પ્રચારકનો દરજ્જો તેની પાસેથી છીનવી શકે.