Sharad Pawar News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ પરથી શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે ઘમાસાણ મચી જવા પામ્યું છે. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને નેતાઓ સુધી શરદ પવારને રાજીનામું ના આપવા અપીલ કરી રહ્યાં છે.  પાર્ટી કાર્યકર્તાઓ સતત પવારને નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે? જોકે હંમેશા પોતાના નિર્ણયોને લઈને ચોંકાવવા માટે જાણીતા શરદ પવાર ફરી એકવાર સૌકોઈને આશ્ચર્ય પમાડી શકે છે. 


અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે શરદ પવાર આજે ગુરુવારે મુંબઈના યશવંતરાય ચૌહાણ સેન્ટરમાં કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો.


શરદ પવારે કહ્યું હતું કે, મારે તમને લોકોને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવો જોઈતો હતો, પરંતુ આ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આવતીકાલે સાંજે 5:00 વાગ્યા સુધી બેઠક થશે અને તમારી ઈચ્છા મુજબ નિર્ણય લેવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મેં પાર્ટી (NCP)ના ભવિષ્ય માટે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.


પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેંદ્રીય મંત્રી શરદ પવારે 2 મે બે દિવસ અગાઉ પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ ચોંકાવનારા નિર્ણય બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી કે હવે પાર્ટીના પ્રમુખ કોણ હશે?






શુક્રવારે લાવવામાં આવશે દરખાસ્ત 


એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતીકાલે શુક્રવારે યોજાનારી 16 સભ્યોની એનસીપી સમિતિની બેઠકમાં શરદ પવારને પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. સર્વસંમતિથી આ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. ઘણા વિપક્ષી નેતાઓએ શરદ પાવરને લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સુધી પદ પર ચાલુ રાખવા વિનંતી કરી છે.


શરદ પવારે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી માટે 16 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો જે પણ નિર્ણય હશે તે પવારે સ્વીકારવો પડશે.