નવી દિલ્હીઃ એબીપી ન્યૂઝના શિખર સમાગમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોબ લિંચિંગ, દેવરિયા કાંડ અને આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીથી લઈ રામ મંદિર પર વાત કરી હતી.


મોબ લિંચિંગ પર તેમણે કહ્યું કે, “યુપીમાં મોબ લિંચિંગ નથી થતું કારણકે ત્યાં તમામ ગેરકાયદે કતલખાના બંધ થઈ ગયા છે. મહાગઠબંધન પર યોગીએ જણાવ્યું કે, તમામ લોકો ભાજપથી ભયભીત છે. ભારતના વિકાસથી ભયભીત છે. રાજકીય અસ્થિરતાથી ભયભીત છે. રાજ કરી શકાય તે માટે અમે સત્તામાં નથી આવ્યા, પરંત દેશમાં જડમૂળથી પરિવર્તન કરીને દરેક નાગરિકનું જીવનસ્તર ઊંચું કરી શકાય તે માટે સત્તામાં આવ્યા છીએ.”

વોટ માટે વિકાસ જરૂરી છે કે જાતિ ? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, “વિકાસ સમાજની જરૂરિયાત  છે. તેના વગર સરકારની કોઈ ઓળખ ન થઈ શકે. જેમણે વિકાસ અને સુશાસન અંગે વિચાર્યું ન હોય તેવા લોકો જાતિના આધારે સમાજને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે.”

દેવરિયા શેલ્ટર હોમ પર યોગી આદિત્યનાથે કહ્યું કે, “આ કાનૂન વ્યવસ્થાનો મામલો નથી. આ સામાજિક નૈતિકતાનો મામલો છે. સમાજે સ્વયં જાગૃત રહેવું પડશે. સરકાર તેની જવાબદારી નિભાવશે. દેવરિયા કાંડ પર અમે યોગ્ય સમયે પગલાં ભર્યા છે, જ્યાં પણ બેદરકારી સામે આવશે ત્યાં કાર્યવાહી કરાશે. દેવરિયા કાંડના લોકોને છોડવામાં નહીં આવે.”

રામ મંદિર ક્યારે બનશે ? સવાલ પર યોગી આદિત્યનાથે જણાવ્યું કે, “વ્યક્તિએ આશાવાદી બનવું જોઈએ. પ્રભુ રામનું કાર્ય છે અને તેની તિથિ રામજી જ નક્કી કરશે. જે થવાનું તે થશે અને કોઈ તેને ટાળી નહીં શકે.”