Maharashtra Politics: મતગણતરી કેન્દ્ર પર ફોનનો ઉપયોગ કરવો મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી નવા ચૂંટાયેલા સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી માટે મોંઘો સાબિત થઈ શકે છે. આ સંદર્ભે પોલીસે વાયકરના સંબંધી સામે ગુનો નોંધ્યો છે. વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, 4 જૂને ગોરેગાંવમાં સામાન્ય ચૂંટણીના પરિણામોની જાહેરાત દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર કથિત રીતે ફોનનો ઉપયોગ કરવા બદલ રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર વિરુદ્ધ બુધવારે કેસ નોંધવામાં આવ્યો હતો.


વનરાઈ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મંગેશ પાંડિલકર ઈવીએમ મશીન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કરતો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઈવીએમ મશીનને અનલોક કરવા માટે ઓટીપી જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. વનરાઈ પોલીસે ચૂંટણી પંચના મતદાન કાર્યકર દિનેશ ગુરવની સાથે મંગેશ પાંડિલકરને CTPC 41A હેઠળ નોટિસ મોકલી છે.


ફોરેન્સિક લેબમાં ફોન મોકલ્યો
આ સાથે પોલીસે મોબાઈલ ફોનને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે, જેથી મોબાઈલ ફોનનો ડેટા મેળવી શકાય. આ ઉપરાંત ફોનમાં હાજર ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 4 જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારની મતગણતરી દરમિયાન બની હતી, વાસ્તવમાં, "મિડ-ડે" અનુસાર, વનરાઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રામપિયારે રાજભરએ જણાવ્યું હતું કે, "અમે ફોન ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે."


તેમણે કહ્યું, અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે મોબાઈલ ફોનનો ઉપયોગ અન્ય કોઈ કારણસર થયો હતો કે કેમ. અમે અન્ય ઉમેદવારોના નિવેદનો રેકોર્ડ કર્યા છે અને આરોપી મંગેશ પાંડિલકર અને મતદાન કાર્યકર દિનેશ ગુરવને પણ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે તપાસ માટે પોલીસ સ્ટેશને આવવાનું રહેશે. અત્યાર સુધી તે તપાસમાં સહકાર આપી રહ્યો છે, પરંતુ જો તે આગળ સહકાર નહીં આપે તો અમે ધરપકડ વોરંટ જારી કરીશું.


અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે મોબાઈલ ફોન કોણે સપ્લાય કર્યો છે તે જાણવા માટે નેસ્કો સેન્ટરના સીસીટીવી કેમેરા પણ તપાસી રહ્યા છીએ. આ કેસમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મતદાન કાર્યકર દિનેશ ગુરવની ફરિયાદ પર મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક અપક્ષ ઉમેદવારે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોવા છતાં પંડિલકરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોયો અને રિટર્નિંગ ઓફિસરને જાણ કરી. આ પછી ચૂંટણી અધિકારીએ વનરાઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.


વાયકર માત્ર 48 મતોથી જીત્યા
નોંધનીય છે કે આ ચૂંટણીમાં રવિન્દ્ર વાયકરે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર અમોલ કીર્તિકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી હરાવ્યા હતા. અગાઉ કીર્તિકરને આ બેઠક પર એક મતથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ રિકાઉન્ટિંગમાં વાઈકર 48 મતથી જીત્યા હતા. રવિન્દ્ર વાયકરને 4 લાખ 52 હજાર 644 વોટ મળ્યા છે. જ્યારે ઉદ્ધવ જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4 લાખ 52 હજાર 596 મત મળ્યા છે.


પ્રિયંકા ચતુર્વેદીએ કર્યા પ્રહારો
આ બાબતે શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું હતું કે, આ મોટા સ્તરે કરવામાં આવેલી છેતરપિંડી છે, તેમ છતા ચૂંટણીપંચ આંખ આડા કાન કરતું રહ્યું. હેરફેર કરનાર વિજેતા સાંસદના સંબંધી મતગણના કેન્દ્ર પર ફોન લઈને ગયો, જેમાં ઈવીએમ મશીનને અનલોક કરવાની ક્ષમતા હતી, જો ECI આમાં હસ્તક્ષેપ ન કરે તો આ ચંદીગઢ મેયર ચૂંટણી બાદ સૌથી મોટું ચૂંટણી પરિણામ કૌભાંડ હશે અને આ લડાઈ કોર્ટમાં જશે. આવા ષડયંત્ર કરનારને સજા થવી જોઈએ.