નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજીસ્ટર  ઓફ સિટીઝનની અંતિમ યાદી શનિવારે જાહેર થઇ ગઇ હતી. શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, અમે પણ ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.


શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યુ કે, અગાઉ આસામમાં સફળ રહ્યા બાદ મુંબઇમાં પણ એનઆરસીને લાગુ કરવું જોઇએ. આસમમાં એનઆરસી મારફતે એ જાણી શકાશે કે ત્યાં બહારના કેટલા લોકો રહે છે. એનઆરસી યાજી જાહેર કરવાનો નિર્ણય સરકારનું પ્રશંસનીય પગલું છે. આ દેશની સુરક્ષા, એકતા અને અખંડિતા માટે જરૂરી છે. નોઁધનીય છે કે પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજીસ્ટર એટલે કે એનઆરસીની અંતિમ યાદી જાહેર કરી દેવાઇ છે. એનઆરસીના સ્ટેટ કો-ઓર્ડિનેટર પ્રતીક હઝેલાએ જાણકારી આપી હતી કે એનઆરસીની યાદીમા  3.11 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે 19 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. તેમના મતે આ લોકો પોતાનું નાગરિકત્વ સાબિત કરી શક્યા નહોતા. આ લોકો હવે ફોરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે.

આ ફાઇનલ લિસ્ટ હેઠળ લગભગ 40 લાખ લોકોનું ભવિષ્ય નક્કી થશે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારે આસામના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જેનું નામ લિસ્ટમાં નથી આવ્યું તેમની ધરપકડ કરવામાં નહી આવે અને તેમને પોતાની નાગરિકતા સાબિત કરવાની તમામ તક આપવામાં આવશે.