ભોપાલ: કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવ્યા બાદ હવે મજૂરોનો વારો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પ્રદેશના મજૂરોને સરકાર મધ્યપ્રદેશ પરત લાવશે. તેના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


અન્ય રાજ્યોમાંથી મજૂરોને મધ્યપ્રદેશ પરત લાવવા માટે મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન,ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. તેમણે પોતાના રાજ્ય તરફથી પૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે. અન્ય પ્રદેશોમાં ફસાયેલા વ્યક્તિઓને લાવવા માટે તેમના પરિવારજનોને મધ્યપ્રદેશથી જવાની પરવાનગી આપવામાં આવશે.

આ સાથે જ મધ્યપ્રદેશમાં અન્ય રાજ્યોના ફસાયેલા મજૂરોને પણ તેમના પ્રદેશોમાં જવાની પરવાનગી આપવામાં આવશે. તેના માટે તેઓ પોતાના વાહનો અથવા અન્ય રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા સાધનોનો ઉપયોગ કરી શકશે. મધ્યપ્રદેશમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફસાયેલા મજૂરો પોતાના જિલ્લામાં પરત ફરી શકશે. આ સંબંધમાં અધિકારીઓને નિર્દેશ આપવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે આ કામ પૂરી સાવધાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા કરવામાં આવશે. રાજ્ય તથા જિલ્લાઓની સરહદો પર સ્ક્રીનિંગ અને સ્વાસ્થ્ય પરીક્ષણની સારી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પ્રદેશના તમામ સંક્રમિત ક્ષેત્રો અને ઈન્દોર જિલ્લામાં કોઈપણ મજૂરને આવવા-જવાનું પરવાનગી આપવામાં નહી આવે.