Sidhu MooseWala Case: ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. ગોલ્ડી બરાર હાલ કેનેડામાં હોવાનું કહેવાય છે. પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યાના 10 દિવસ પહેલાં બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવાની વિનંતી કરી હતી. કેનેડામાં રહેતા ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે.


સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, ફરીદકોટમાં નોંધાયેલા બે અલગ-અલગ કેસમાં સતીન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પંજાબ પોલીસે 19 મેના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના 10 દિવસ પછી મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન, એક પોલીસ પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ ગેંગસ્ટર ગોલ્ડી બરારને ભારત લાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. પ્રવક્તાએ કહ્યું કે, રેડ કોર્નર નોટિસ તેના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કરશે.


બરાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતોઃ
શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી ગોલ્ડી બરાર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. બરાર સામે નવેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021માં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ બે કેસ નોંધાયા હતા. ગયા વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.


રેડ કોર્નર નોટિસ શું છે?
રેડ કોર્નર નોટિસ વિદેશ ભાગી ગયેલ વ્યક્તિની ધરપકડ અને અટકાયતની મંજૂરી આપે છે. જેની સામે ફોજદારી કેસ નોંધાયેલ છે તે વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે. તે વિશ્વના દેશોને તે વ્યક્તિના ગુના વિશે માહિતગાર કરે છે અને એલર્ટ પણ કરે છે.