શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે થયેલી અથડામણમાં છ આતંકીઓ ઠાર માર્યા ગયા છે. વળી સાથે એક જવાન શહીદ થયો છે અને એક નાગરિકનું પણ મોત થયું છે.


પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે અને એક સૈનિક તથા એક નાગરિકનું પણ મોત થયુ છે. વળી શોપિયા અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.



પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, પોલીસ અને સુરક્ષાદળોએ વિશ્વસનીય બાતમીના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારની ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.


જ્યારે સુરક્ષાદળો એક મકાનમાંથી સામાન્ય નાગરિકોને બહાર કાઢી રહ્યાં હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં સેનાનો એક જવાન સંદિપ શહીદ થઇ ગયો અને નાગરિકનું મોત થયુ હતુ. જોકે, સેનાએ કાઉન્ટર એટેક કરતાં આતંકીઓને ઠાર માર્યા હતા.