નવી દિલ્હીઃ પૂર્વ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન મેનેજર (સીપીટીએમ)ના નામથી જારી તથાકથિત ઈમેલને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં તમામ રેલગાડી આગામી 31 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તેમાં મેલ અને એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન તતા ઈએમયૂ-ડીએમયૂ સામેલ છે. તેમાં પૂર્વ રેલવેના તમામ ડિવિઝન હેડક્વાર્ટરને માર્ક કરવામાં આવ્યા છે.


રેલવે બોર્ડેને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેણે તેને નકલી ગણાવ્યું છે. રેલવે બોર્ડે કહ્યું કે, તેમના તરફથી આવો કોઈ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યો નથી. રેલવે બોર્ડે જે પત્ર બહાર પાડ્યો છે તેમાં આગામી આદેશ સુધી તમામ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ દરમિયાન સ્પેશિયલ ટ્રેન ચાલતી રહેશે. આ પહેલા 25 જૂને રેલવેએ તમામ નિયમિત મેલ, એક્સપ્રેસ અને પ્રવાસી સેવાઓની સાથે ટ્રેન 12 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી હતી.


રેલવે મંત્રાલયં પણ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે, મીડિયામાં એ પ્રકારના અહેવાલ આવી રહ્યા છે કે નિયમિત ટ્રેનો 30 સપ્ટેમ્બર સુધી રદ્દ કરવામાં આવી છે. આ અહેવાલ ખોટા છે. આ મામલે રેલવે મંત્રાલયે આવો કોઈ સર્ક્યુલર બહાર પાડ્યો નથી. સ્પેશિયલ મેલ એક્સપ્લેસ ટ્રેનો ચાલી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ મામલે ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો છે.