લખનઉઃ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં બુધવારે બપોરે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવશે. રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. આ કાર્યક્રમને લઇને રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ છે. હવે આ રામ મંદિરને લઇને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે.


સપા અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ કાર્યક્રમને લઇને ટ્વીટ કરતાં લોકોને ભગવાન રામના રસ્તે ચાલવા અપીલ કરી છે. અખિલેશે ટ્વીટમાં લખ્યું- ભગવાન શિવના કલ્યાણ, શ્રીરામના અભયત્વ તથા શ્રીકૃષ્ણના ઉન્મુક્ત ભાવથી બધા પરિપૂર્ણ રહે. આશા છે કે વર્તમાન કલ્યાણ તથા ભવષ્યની પેઢીઓ પણ મર્યાદા પુરુષોત્તમના બતાવેલા રસ્તા અનુરૂપ સાચા મનથી બધાની ભલાઇ તથા શાંતિ માટે મર્યાદાનુ પાલન કરશે.



અયોધ્યા નગરીને આજે એક દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. ઠેર ઠેર કલાકૃતિઓમાં રામના જીવન ચરિત્રની પેટિંગ દેખાઇ રહી છે. ફ્લાયઓર, પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓને યોગ્ય રીતે સજાવવામાં આવી છે. શનિવારથી અયોધ્યા નગરીના કેટલાય ભાગમાં રોશનીથી જગમગાટ થઇ રહ્યો છે.

સરયુ ઘાટને લઇને કેટલાય અન્ય સ્થળો પર કરવામાં આવેલી લાઇટિંગમાં અયોધ્યા નગરી અલગ જ રૂપરંગમાં નીખરી ઉઠી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ભૂમિ પૂજન પહેલાના ત્રણ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ સર્જાઇ જશે.