નવી દિલ્હીઃ સ્પાઈસ જેટના વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓ વચ્ચે DGCAએ એક મોટી કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આઠ અઠવાડિયા માટે એરલાઇનને વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. બીજી તરફ, જો એરલાઇન ભવિષ્યમાં 50 ટકાથી વધુ ઉડાન ભરવા માંગતી હોય તો તેણે સાબિત કરવું પડશે કે તેની પાસે આ વધારાનો ભાર વહન કરવાની ક્ષમતા છે, પૂરતા સંસાધનો અને સ્ટાફ ઉપલબ્ધ છે.






ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા DGCAએ સ્પાઈસ જેટને નોટિસ આપી હતી. એરલાઇનના વિમાનોમાં વારંવાર આવતી ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને આ નોટિસ મોકલવામાં આવી હતી. તાજેતરમાં સરકારે રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે DGCAએ સ્પાઈસ જેટના વિમાનોનું સ્પોટ ચેકિંગ કર્યું છે. તે ચેકિંગમાં કોઈ મોટી ખામી નહોતી.પરંતુ રિપોર્ટમાં DGCAએ ચોક્કસપણે કહ્યું હતું કે હાલમાં એરલાઈને તેના 10 એરક્રાફ્ટનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમામ પ્રકારની ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવે.


નોંધનીય છે કે 18 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનોમાં 8 વખત ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ કારણોસર DGCAએ એરલાઇનને નોટિસ મોકલવી પડી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ઘટનાઓની સમીક્ષા કર્યા બાદ જાણવા મળ્યું છે કે નબળી આંતરિક સલામતી દેખરેખ અને અપૂરતી જાળવણીને કારણે સલામતી માર્જિનમાં ઘટાડો થયો છે.


જો કે, સ્પાઇસ જેટ સિવાય અન્ય એરલાઇન્સના પ્લેનમાં પણ ટેક્નિકલ ખામી જોવા મળી છે. DGCA તેનું એક કારણ કોરોનાને પણ માને છે કારણ કે લોકડાઉન સમયે ફ્લાઈટ્સના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સ્ટાફમાં પણ ઘટાડો થયો હતો, તેથી હવે જ્યારે એરલાઇન્સ ફરીથી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે, ત્યારે તેઓ તમામ પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે.


નોંધનીય છે કે 5 જુલાઈના રોજ ચીન જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું કોલકાતામાં લેન્ડિંગ કરવાનું હતું. આ પાછળનું કારણ એરક્રાફ્ટનું વેધર રડાર કામ કરી રહ્યું ન હતું. જ્યારે 2 જુલાઈના રોજ જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.