મુંબઇઃમહારાષ્ટ્ર સરકાર પાસે વિવાદો વચ્ચે બોલિવૂડ઼ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઇ પહોંચી ચૂકી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી કંગના રનૌતના સમર્થનમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તે આ મુદ્દા પર કંગના સાથે છે.


સ્વામીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, કંગનાને કહો કે તે વિશ્વાસ રાખે. અમે બધા તેના સંઘર્ષમાં તેની સાથે છીએ. નોંધનીય છે કે મુંબઇની પીઓકે સાથે તુલના અને મુંબઇ પોલીસની ટીકા બાદ મહારાષ્ટ્ર સરકારે ખાસ કરીને શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના પર હુમલાઓ વધારી દીધા છે.



કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલાના તપાસના આદેશ અપાયા છે. જ્યારે શિવસેનાના સાંસદે મુંબઇની તુલના પીઓકે સાથે કરવાના બદલામાં કંગના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં તેના પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. શિવસેનાના આ આરોપ પર પણ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી પૂછ્યું હતું કે, ક્યા આધાર પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરશે. ક્યા અધિનિયમની કઇ કલમોને લાગુ કરવામાં આવશે.

આ અગાઉ જૂલાઇમા સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઈશકરણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે ડોક્ટર સ્વામી કંગનાને કાયદાકીય મદદ આપવા તૈયાર છે. ઈશકરણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્વામી અગાઉ પણ નિવેદન આપી ચૂક્યા છે કે જો કંગનાને અથવા તેમની ટીમને પોલીસમાં સ્ટેટમેન્ટ આપવા દરમિયાન કોઇ પ્રકારના કોઇ કાયદાકીય મદદની જરૂર હશે તો તે કંગનાની મદદ કરશે.