નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ‘મેં ભી ચોકીદારી’ કેમ્પેનને લઈને પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મેં મારું નામ નથી બદલ્યું. એક ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે, “ હું બ્રાહ્મણ છું, હું ચોકીદાર ન બની શકું. હું સૂચનાઓ આપીશ અને ચોકીદારે તેનું પાલન કરવું પડશે. ” સોશિયલ મીડિયામાં આ ક્લિપ ખૂબ જ વાઇરલ થઈ રહી છે જેમાં સ્વામી તેમનું લોજિક સમજાવી રહ્યાં છે.


કોંગ્રેસે વડાપ્રધાન પર 'ચોકીદાર ચોર હે' આક્ષેપ મૂક્યો હતો. રાહુલ ગાંધી સતત આ વાત તેમની સભાઓમાં કરી રહ્યાં હતા. જેના પ્રત્યુતરના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ 'હા મેં ભી ચોકીદાર હું' અભિયાન શરૂ કર્યુ હતું. આ અભિયાન બાદ કેન્દ્રના તમામ મોટા મંત્રીઓ જેમ કે અરૂણે જેટલી, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, રવિ શંકર પ્રસાદ, સૌએ પોતાના નામ આગળ ચોકીદાર લખ્યું હતું.



જોકે, ચોકીદાર સિવાયના મુદ્દે સ્વામીએ એવું પણ કહ્યું કે મને એવું નથી સમજાતું કે મોદી શા માટે દેશને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ગણાવે છે, જ્યારે ભારત અમેરિકા અને ચીન બાદ ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા છે. આ અર્થવ્યવસ્થાની હું જીડીપીના આધારે ગણતરી કરું તો ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા છે.