નવી દિલ્હીઃ અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી તમામ રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ફગાવી દીધી છે. આ મામલામાં તમામ રિવ્યૂ પિટિશન ફગાવી દેવામાં આવી છે. બંધ રૂમમાં પાંચ જજોની ખંડપીઠે 18 રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી હતી. આ મામલામાં 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9અન્ય અરજીકર્તા તરફથી કરવામાં આવી હતી.


આ અરજીઓના મેરિટ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, ચુકાદાના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી થઇ નથી. કોર્ટ આ મામલે સ્પષ્ટ આદેશ આપે પરંતુ હવે તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે.

દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપીઠે સુનાવણી કરી હતી. તેમની સાથે જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્ના હતા.


નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ પોતાના નિર્ણયમાં 2.77 એકર વિવાદીત જમીન રામ લલાને આપી હતી. તે સિવાય કોર્ટે કેન્દ્ર સરકારને સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવાના નિર્દેશ આપ્યા હતા. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ 18 રિવ્યૂ પિટિશન દાખલ થઇ હતી. તેમાંથી નવ અરજીઓ પક્ષકારો તરફથી અને બાકીની નવ અન્ય અરજીકર્તાઓ તરફથી કરાઇ હતી.